શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – સુરતમાં સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો

By: nationgujarat
29 Feb, 2024

ભારતની સુરત ગુજરાતથી શોભે છે અને ગુજરાતની સુરત, સુરતથી શોભે છે. સુરત સદાય સુરત – સારાં કાર્યમાં રત હોય છે. પાણીની રેલને આનંદની રેલમાં પળવારમાં પલટાને તે સુરત છે. સુરત જેટલું ઔદ્યોગિક વ્યવસાયમાં તેટલું બલ્કે તેથી અદકેરું વિશેષ ધાર્મિકતામાં. સુરત એટલે ગુજરાતની કાશી. શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા – સુરત અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સુરતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના ૧૫ મા વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે મહાપૂજા, ૧૫ મા પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચનથી પાટોત્સવ વિધિ, આરતી તથા અન્નકૂટ દર્શન, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ, કીર્તન ભક્તિ, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદ; શિક્ષણ, સ્પોર્ટ્સ, પોલિસ વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારનું સન્માન જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ૧૫ મા પ્રતિષ્ઠોત્સવ પ્રસંગે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, મનુષ્યે પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન, સ્મરણ છે. ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોનાં સર્જન છે તથા સત્સંગ કરી શકીએ તે માટે આવાં મંદિરોના સર્જન છે. ભગવાનની મૂર્તિનું સુખ સહેજે સહેજે પામી શકીયે તે માટે આવા કારણ સત્સંગનાં મંદિરોના સર્જન છે. ભગવાનની મૂર્તિનું સુખ અપાર છે તથા ભગવાનની મોટાઈ, મહિમા અપાર અને અપાર છે. જેમ મીઠા જળથી ભરેલો સમુદ્ર હોય તેમાંથી અનેક જીવો, પશુ, પક્ષીઓ, મનુષ્યો એ જળનો ઉપયોગ કરે તેમ છતાં એ મીઠા જળના સમુદ્રનું પાણી લગારેય ઓછું થતું નથી તેમ ભગવાનની મૂર્તિનું સુખ ગમે એટલું ભોગવીએ તો પણ ભગવાનનું મૂર્તિનું સુખ લગારેય ઓછું થતું નથી. વળી, કોઈ જીવ આ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દર્શન કરશે તે જીવનું કલ્યાણ થશે . કોઈ જીવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થશે તે જીવનું પણ રૂડું થશે અને એ જીવ ઉપર ભગવાનનો બેઠો રાજીપો થાય. આ પ્રસંગનો દિવ્ય લાભ દેશ-વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.


Related Posts

Load more